text: ભાજપનો મૂળ ઍજન્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'વિકાસપુરુષ' અને 'આપણું ગુજરાત, આપણા નરેન્દ્રભાઈ' તરીકે પ્રસ્તુત કરવાનો છે. બીજી તરફ પોતાનું સ્થાન ટકાવી રાખવા સંઘર્ષ કરી રહેલા કોંગ્રેસને આશા છે કે સરકાર વિરોધી લાગણી અને ખાસ કરીને ખેડૂતો તથા બેરોજગારીની સમસ્યાને કારણે તેને લાભ થશે. ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને લોકસભાની ચૂંટણી માટે સજ્જ છે. બન્ને પક્ષના ટોચના નેતાઓ તેમના હાઈકમાન્ડ્ઝ તેમજ પાયાના કાર્યકરો સાથે બેઠકો યોજવામાં વ્યસ્ત છે. ભાજપની ચિંતન શિબિર હોય કે બૂથ સ્તરના કાર્યકરો માટેની કોંગ્રેસની વર્કશોપ, બન્ને પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે અને બન્ને પોતપોતાના ઍજન્ડા નક્કી કરી રહ્યા છે. ભાજપે ગુજરાતમાં 2015થી નકારાત્મક પરિણામનો સામનો કરવો પડ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતોની તેમજ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના દેખાવથી નેતાગીરી સફાળી જાગી ગઈ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 151 બેઠકો મળવાનો અંદાજ હતો, પણ પક્ષે 99 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. બીજી બાજુ, કોંગ્રેસે 2017માં છેલ્લા બે દાયકાનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જો કે, ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ નમૂનેદાર કામગીરી કરી દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમણે નવી નેતાગીરી માટે માર્ગ મોકળો કરવો પડ્યો હતો. ગુજરાત કોંગ્રેસની હાલની નેતાગીરી તાજી છે અને 2017ની સરખામણીએ તેમની પાસેથી અપેક્ષા વધી છે. તમે આ વાંચ્યું કે નહીં? ભાજપનો વિકાસનો ઍજન્ડા વિકાસના ઍજન્ડાનું 2015 પછી અપેક્ષિત પરિણામ મળ્યું ન હોવા છતાં ભાજપ તેને વળગી રહેવા ઇચ્છે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સફળતાની વાતો ગુજરાતના લોકોને જણાવશે. ભરત પંડ્યાએ કહ્યું હતું, "રાજ્યમાં ખેડૂતો, રોજગારી અને જળ વ્યવસ્થાપન માટેની વિવિધ યોજનાઓને કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક અમલ કર્યો છે." તેઓ માને છે કે ગૂડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) અને નોટબંધીની શાસક પક્ષ પર કોઈ અવળી અસર થઈ નથી. ભાજપના એક અન્ય નેતા યમલ વ્યાસે પણ જણાવ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના છેક છેવાડાના માણસ સુધી પહોંચવા માટે વધારે યોજનાઓ અમલી બનાવવાનો પૂરતો સમય કેન્દ્ર સરકાર પાસે છે. યમલ વ્યાસની વાતમાં સૂર પુરાવતાં રાજકીય વિશ્લેષક અને જેએનયુના ભૂતપૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહે જણાવ્યું હતું કે સરકાર વિરોધી લાગણી ઘટાડવા માટે ભાજપ જોરદાર પ્રયાસ કરી રહ્યો છે. વિવિધ પ્રોડક્ટ્સ પરના જીએસટીના દરમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર તેમજ ખેડૂતો માટે ટેકાના લઘુતમ ભાવનો લાભ ભાજપને મળશે. અલબત, યુવાનો માટે રોજગારીની તકો સંબંધી વિપક્ષી આક્રમણનો સામનો કરવામાં ભાજપ ગૂંચવાયેલો હોવાનું તેમણે જણાવ્યું હતું. નવી નેતાગીરી, પણ વિખેરાયેલો કોંગ્રેસ ગુજરાત ભાજપના નેતાઓ સાથે કુંવરજી બાવળિયા કોંગ્રેસના તાલુકા સ્તરના નેતાઓથી માંડીને સંસદસભ્યો સુધી લોકોને ભાજપમાં ખેંચી લાવવાનું 2015થી ચાલી રહ્યું છે. 2015 પછી કોંગ્રેસના ટોચના કમસેકમ 15 નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં છેલ્લા કુંવરજી બાવળિયા હતા. આ કોળી નેતા સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. તેઓ હવે વિજય રૂપાણી સરકારમાં ગ્રામીણ આવાસ વિભાગના કૅબિનેટ પ્રધાન છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જેવા કોંગ્રેસના ટોચના નેતાઓ હવે રાજ્યના રાજકારણમાં સક્રિય નથી. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ તાજેતરમાં અમિત ચાવડાને સોંપવામાં આવ્યું છે, જ્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીનો સમાવેશ પણ રાજ્યમાં કોંગ્રેસના નવા ચહેરાઓમાં થાય છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે બૂથ સ્તરેથી શરૂ કરીને જિલ્લા સ્તર સુધી કોંગ્રેસ ટૂંક સમયમાં નવી નેતાઓની નિમણૂક કરશે. અમિત ચાવડાએ કહ્યું હતું, "નવા લોકોને શોધવાની અને તેમની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. અમે સિનિયર નેતાઓ સાથે પણ કામ કરવા ઇચ્છીએ છીએ." ગુજરાતના ખેડૂતોમાંના અસંતોષનો લાભ લેવાનું આયોજન પણ કોંગ્રેસ કરી રહ્યો છે. અમિત ચાવડાએ ઉમેર્યું હતું, "અમે ખેડૂતોના તમામ આંદોલનોને ટેકો આપીશું અને ખેડૂતોની હાલની સમસ્યાઓના નિરાકરણ માટે તાલુકા સ્તરે યાત્રાઓ યોજીશું." બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે હવે કોંગ્રેસનો સમય છે. તેમણે કહ્યું હતું, "ગુજરાત 2019 પછી દેશની પ્રગતિનો પથ કંડારશે. એ 'નવું ગુજરાત, નવું ભારત' હશે." અલબત, પોતાની આવી બધી યોજનાઓના વાસ્તવિક અમલ માટે કોંગ્રેસે હજુ સુધી ખાસ કશું કર્યું નથી. પક્ષોમાં આંતરિક સાઠમારી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પક્ષપ્રમુખ રાહુલ ગાંધી ભાજપ અને કોંગ્રેસ બન્ને અસંતુષ્ટ નેતાઓ તથા કાર્યકરોના રોષનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં વગદાર સ્થાન મેળવી રહ્યા છે. તેથી વર્તમાન નેતાગીરી નારાજ છે. અલબત, આ બાબતે વાત કરતાં ભરત પંડ્યાએ કહ્યું હતું, "આ કારણે કેટલાક લોકો નારાજ હોય તે શક્ય છે, પણ ભાજપ ચુસ્ત સંગઠનાત્મક શિસ્ત ધરાવતો પક્ષ છે અને આવી આંતરિક નારાજગીને પ્રાથમિક સ્તરેથી અંકુશમાં લઈ લેવામાં આવે છે." ગુજરાત કોંગ્રેસમાં નેતાઓની આંતરિક લડાઈ કોઈ નવી વાત નથી. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સિનિયર પત્રકાર અજય ઉમટે જણાવ્યું હતું કે સંગઠનાત્મક તથા આયોજનાત્મક કૌશલ્યની બાબતમાં કોંગ્રેસ ભાજપ જેટલો મજબૂત નથી. અજય ઉમટના જણાવ્યા અનુસાર, પરેશ ધનાણી અને અમિત ચાવડા જેવા રાજ્ય કોંગ્રેસના નેતાઓમાં જૂથવાદ ચાલતો હોવાના અહેવાલ છે. અજય ઉમટે કહ્યું હતું, "જો કોંગ્રેસ તેનું પોતાનું ઘર વ્યવસ્થિત કરે, તો નિશ્ચિત રીતે ફરક પડી શકે છે." ગુજરાતમાં વિભાજિત હિંદુ મતદારો જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીની વોટિંગ પેટર્ન એવો સંકેત આપે છે કે ઘણા હિંદુ મતો ભાજપના વિરોધમાં પડ્યા હતા. અજય ઉમટે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ શરૂ કરેલા આંદોલનને કારણે હિંદુ મતોનું સ્પષ્ટ વિભાજન થયું હતું, જે અગાઉ ભાજપની 'સલામત વોટ બેન્ક' હતા. અજય ઉમટે કહ્યું હતું, "એ આંદોલનને કારણે કોંગ્રેસને 2017માં લાભ થયો હતો." વિભાજિત હિંદુ મત આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે વધારે અર્થપૂર્ણ બનશે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે લોકોને હિંદુત્વનો ઍજન્ડા નહીં, પણ રોજગાર જોઈએ છે. તેમણે કહ્યું હતું, "ગુજરાતમાં 30 લાખથી વધુ યુવાનો બેરોજગાર છે અને વધતી બેરોજગારીનો રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે કોઈ જવાબ નથી. અમે 2019માં બેરોજગારીનો મુદ્દો આગળ ધપાવીશું." મોદી એટલે હિંદુત્વ નરેન્દ્ર મોદીને 'ગુજરાતના ગૌરવ' કે 'ગુજરાતની અસ્મિતા' તરીકે પ્રસ્તુત કરવાથી ભાજપને હંમેશા લાભ થયો છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પછી અમદાવાદના મણીનગરમાં આપેલા ભાષણમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની તમામ 26 સંસદીય બેઠકો ભાજપને મળી તેથી તેઓ ગદગદ થઈ ગયા છે. ઘનશ્યામ શાહ માને છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના છે અને વડાપ્રધાન છે એ હકીકત સાથે ગુજરાતીઓની લાગણી જોડાયેલી છે. આ લાગણીથી ભાજપને લાભ થશે. અલબત, ભાજપની 2019ની વ્યૂહરચનામાં વિકાસનો ઍજન્ડા સ્પષ્ટ દેખાતો હોવા છતાં તરતપાસ કરશો તો તેમાં હિંદુત્વનો ઍજન્ડા છૂપાયેલો જોવા મળશે, એમ તેમણે જણાવ્યું હતું. ઘનશ્યામ શાહે કહ્યું હતું, "નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ કરવા એટલે હિંદુત્વને પ્રોજેક્ટ કરવું. તેઓ હિંદુત્વના વિકલ્પ છે. તેઓ હિંદુત્વ અને વિકાસના પ્રતિનિધિ છે." તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો ગુજરાતમાં લોકસભાની આગામી ચૂંટણી 'આપણો માણસ' વિરુદ્ધ તમામના ધોરણે લડાશે. 2014માં અપનાવેલી વ્યૂહરચના ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે બહુ સફળ સાબિત થઈ હતી અને 2019માં પણ એ જ રીતે સારું પરિણામ મેળવવાની ભાજપને આશા છે.